Sunday, 6 December 2015

કોર્પોરેશનમાં કમળ- પંચાયતમાં પાટીદાર - કાંઈ નવું થયું?

કોર્પોરેશનમાં કમળ- પંચાયતમાં પાટીદાર - કાંઈ નવું થયું?

વિશ્વ ફલક પર રાજકીય ઉથલ-પાથલો અને નવા વૈશ્વિક પ્રશ્નોની તીવ્રતાનું વર્ષ બની રહેશે 2015. ભારત તેમાંથી બાકાત રહેશે પણ ગુજરાત અને ખાસ કરીને ગુજરાતનું રાજકારણ આ વર્ષે નવી માર્ગદર્શિકાઓ લઈને આવ્યું છે. જનતા માર્ગદર્શક છે અને રાજકીય પક્ષોએ બોધના વિદ્યાર્થીઓ....

મધ્યમગતિએ અને રોડની એકદમ સાઈડમાં ચાલતા વાહનની બાજુમાંથી કોઈ 120ની સ્પીડે પસાર થઈ જાય અને વિચારોનો જે સન્નાટો વ્યાપે તેવી કાંઈક ઘટના છેલ્લા ચાર મહિનામાં ગુજરાતના બંન્ને મુખ્ય રાજકીય પક્ષોએ જોઈ છે. આ ચાર મહિનાના ટાઈમ લેપ્સને જૂઓ તો લાગે કે પ્રમાણમાં મેચ્યોર જણાતા ગુજરાતના માત્ર બે મુખ્ય પક્ષોને અણસાર પણ ન આવે એવા ધીમા કદમે ઘટના ઘટતી ગઈ અને તેનું સ્વરુપ મોટું થતું ગયું. 7મી જુલાઈ એ તારીખ હતી જ્યારે મહેસાણામાં કેટલાક પાટીદાર યુવકો એક રેલી સ્વરુપે રસ્તા પર ઉતર્યા અને તેમની માગ રજૂ કરી કે અમારે અનામત જોઈએ છે. શરુઆતમાં આ એક સામાન્ય રેલી હતી, જેની સોસીયો-પોલીટીકલ ઈમ્પેક્ટ વિશે કોઈએ ક્યાસ કાઢવાનો પ્રયત્ન કર્યો નહી. શરુઆત થઈ અેક એવા અભિયાન જેમાં સ્વીકૃતિ, ધિક્કાર અને વિભાજનના નવા આયામો હતા. 

બંધારણની દ્રષ્ટિએ સુસંગત ન હોય તેવી વાત પણ નવલોહિયા યુવાનોની જીદ્દ તેમાં ઉમેરાઈ અને આંદોલન મોટું થતું ગયું. 80ના દસકામાં અને ચોક્કસ રીતે 1990 પછી જે પાટીદારો છુટાછવાયા પણ કોંગ્રેસ સાથે હતા તે પાટીદારોએ ભાજપને વિકલ્પ તરીકે સ્વીકારવાનો શરુ કર્યો. કોંગ્રેસથી મન ભરાઈ જવાના કેટલાક કારણો પણ જ્ઞાતિગત હતા, તેમાં અત્યારે નહી પડીએ તો પણ કોંગ્રેસથી પાટીદારોએ છેડો ફાડ્યો અને ભાજપ સાથે રહેવાનું મન બનાવ્યું ત્યાર થી અત્યાર સુધી ભાજપને ખુબ લાડ લડાવ્યા છે. પાટીદાર અનામત આંદોલનથી પાટીદાર મતોનું ધ્રુવિકરણ થવાનું હતું તેની જાણ ખબર નહી પણ કેમેય ભાજપને તો હતી જ. કોંગ્રેસ છુપા રાહે જોવામાં અને મદદ કરવામાં એ શાણપણ માનતી હતી કે ખરેખર મતોનું ધ્રુવિકરણ થઈને લાભ કોંગ્રેસને થાય છે કે કેમ? 

મુળ શહેરોએ તમામ ગણિતોને ઠેબુ મારીને ભાજપને સ્વીકારી પણ કસબા અને ગામોમાં જે અસર પડી છે તે ગુજરાતના રાજકારણની દિશા બદલનારી છે તેમાં કોઈ બે મત ન હોઈ શકે. કોંગ્રેસની એવી કોઈ મહેનત કે પ્લાનીંગ ન હતું કે 31માંથી 22 જિલ્લા પંચાયતો પર કોંગ્રેસને જ્વલંત વિજય મળે. પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયતના જે પોકેટ્સમાં પટેલ મતો નિર્ણાયક છે તે મતો એક પક્ષની વિરોધમાં પડ્યા છે, એટલે કે ભાજપ વિરોધી મતદાનનો માનો જુવાળ ઉભો થયો. કોંગ્રેસ સીવાય બીજો કોઈ વિકલ્પ ન હતો એટલે કોંગ્રેસે બાજી મારી પણ. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો જે જનાધાર વધ્યો તેનું વહેલું એનાલીસીસ કરો તો 97 વિધાનસભા મતક્ષેત્રો કોંગ્રેસના થાય. મોટેભાગે વિધાનસભાની ચૂંટણી વખતે મતદાન અને પરિણામ પહેલા ભાજપ શહેરોની 64 બેઠકો જીતી ચૂક્યુ હોય છે અને તેને મહેનત બાકીની 118 બેઠકોમાંથી સ્પષ્ટ બહુમતિ માટે માત્ર 28 જીતવાની હોય છે. અને આ 28 જીતવા માટે પણ ભાજપની પોતાની ચોક્કસ મતબેંક તેનું કામ સરળ કરી નાખે છે, જે સજ્જડ ચૂંટણી પ્લાનીંગથી વઘારે સરળ થઈ જાય છે. 

ખરાખરીનો ખેલ હવે શરુ થયો છે. 18 થી 20 ટકા જેટલા પાટીદાર મતો જે મતક્ષેત્રોમાં નિર્ણાયક છે તેમના રુઠવાનો ડર ભાજપને પેઠો છે. શહેરોમાં પણ વોર્ડ વાઈઝ એનાલીસીસ કરો તો સ્પષ્ટ થાય છે કે જે શહેરમાં પાટીદારોની વસ્તી જ્યાં નિર્ણાયક છે ત્યાં કોંગ્રેસની પેનલ જીતી છે અથવા તો કોઈક વિસ્તારોમાં ભાજપની પેનલ તુટી છે. કોર્પોરેશનમાં કમળ એટલે ખીલ્યું કે મુળ શહેરી ઈલાકામાં જ્યાં ગટર પાણીના પ્રશ્નો નથી, સોસાયટીના રોડ સારા છે, વિસ્તારમાં બગીચાઓનું નિર્માણ થઈ રહ્યું છે, રીક્રિએશનલ એક્ટીવીટી માટે કોઈને કોઈ કામ થઈ રહ્યું છે ત્યાં ભાજપથી રુઠવાનો પ્રશ્ન નથી ત્યાં ભાજપને મત મળે, પરંતુ શહેરોના ચોક્કસ ઈલાકાઓમાં જ્યારે મોટી ચૂંટણીમાં મતોનું ધ્રુવિકરણ થાય તો તેનો સરવાળો આમ તો બાદબાકીમાં જ પરીણમે તે ભાજપ બરાબર જાણે છે. 

કોર્પોરેશનમાં કમળ અને પંચાયતમાં પંજાનું ગણીત કાંઈક નવા પરીમાણો સર્જી રહ્યું છે. હવે પ્લાનીંગ રાજકીય પક્ષોએ 2017 માટે કરવાનું છે. એ પહેલા જનતા જનાર્દનનો મોહભંગ થઈ જાય તો? 

Saturday, 27 December 2014

Tuff ride to Home


શિયાળાની રાત્રે ઘરે જતા ઝોખમી સવારી. . . .

Monday, 15 December 2014

વધારે મજાની ક્ષણો. . .



રવિવારે અક્ષરધામની સફર પછી. . .  સીડી વીના પણ બીજા માળે પહોંચી શકાય. , ,

Saturday, 13 December 2014

લો કંઈક શેઅર કરીએ.....

છેલ્લા કેટલાયે સમયથી મારો આ બ્લોગ એમના એમ જ પડ્યો રહ્યો છે. ઈચ્છા હતી કે દરરોજ કંઈક લખીશું, ઘટના પ્રચુર જીવન છે, તો મિત્રોને પણ મજા પડશે અને બેફામ લખવાનો આપણને પણ આનંદ મળશે. છેલ્લા કેટલાક બે એક વર્ષોમાં વિચારેલું ઓછું, કરેલું ઓછું અને નહી વિચારેલું આપણે નહી કરેલું એવું ઘણું બધું થયું છે. એટલે એમ જ આ વિચાર પણ પડી રહ્યો. અવાવરું તો નથી થયો પણ થાય એ પહેલા કંઈક લખવાની અને શેઅર કરવાની સફર શરુ કરવાની ઈચ્છા થઈ છે, તો લો .. આટલું લખી નાખ્યું.

મળીએ. . . 

Tuesday, 10 July 2012

About spain . . . about us.......

હમણાં સ્પેન યુરો કપ જીતી ગયું. વિશ્વ ની બાર મી સૌથી મોટી ઇકોનોમી અને યુરોપ ની બ્રિટન પછી ની મોટી ઈકોનોમી ધરાવતો દેશ સ્પેન છે. આ દેશ ના લોકો નો જુસ્સા ની વાત કરવી છે. માત્ર 4 કરોડ એકોતેર લાખ લોકો નો દેશ છે સ્પેન. ગુજરાત રાજ્ય કરતા પણ નાનો દેશ વસ્તી ની દ્રષ્ટિ એ કહી શકાય.

ફૂટબોલ માટે આ દેશ ના લોકો પાગલતા ની તમામ હદ વટાવી શકે છે. એક જોશીલી રમત ના કાયલ છે સ્પેનવાસીઓ. આ દેશ ની ફૂટબોલ ની ટીમે હમણાં જે કરતબ કર્યા તે વિશ્વનો કોઈ દેશ કરી શક્યો નથી. એક સાથે સતત ત્રણ અંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ સ્પેને જીતી. 2008 માં યુરો કપ, 2010 માં વિશ્વ કપ અને ફરી 2012 માં યુરો કપ. ટીકી-ટાકા નામની યુનિક સ્ટાઈલ આ દેશ ની ફૂટબોલ ટીમે વિકસાવી છે. બોલ પર સંપુર્ણ નિયંત્રણ. ભલભલા દેશો ને આ ટીમ ના ખેલાડી અત્યારે ફૂટબોલ માં ભૂ પીવડાવી રહ્યા છે. અને ફૂટબોલ ની રમત ના સ્ટાર્સ ને જોવા હોય, તેમની રમત ને જોવી હોય તો માત્ર ફૂટબોલ વિશ્વકપ 2010ની નેધરલેંડ સામે રમાયેલી ફાયનલ અને હમણાં જ યુરો કપ ની રમાયેલી ઇટલી સાથે ની ફાયનલ ને જોવી જોઈએ. સામે ની ટીમ નો વારો જ ના આવે. બોલ સામેની ટીમ ખેલાડી ઓ પાસે જાય તો ગોલ ની વાત આવે ને?

આ લોકો ને રમતા જોઈ ને વિચાર આવે છે કે માત્ર 15 જેટલા શહેરો ધરાવતા દેશ માં આ રમત માટે કેવો માહોલ બન્યો હશે. માત્ર ફૂટબોલ જ કેમ? અત્યારે ટેનીસ માં નંબર 2 નું સ્થાન ધરાવતો રફયેલ નાદાલ પણ સ્પેન નો જ નરબંકો છે. વિશ્વમાં કરોડો લોકો ને થીરકાવતી શકીરા પણ સ્પેન થી બીલોંગ કરે છે.

સ્પેન ના સંદર્ભ માં લખવાની ઈચ્છા એટલે  થયી કારણ કે ભારત માં પણ હવે ફૂટબોલ માટે નવો ચાહક વર્ગ ઉભો થઇ રહ્યો છે. કઇક નવા જોશ નો સંચાર થઇ રહ્યો છે. એક રમત યુરોપ માંથી ભ્રમણ કરી ને ભારત માં લોકપ્રિય થઇ રહી છે. દેશ ના પૂર્વ ભાગ માં રમાતી આ રમત હવે પશ્ચિમ માં પણ નવો ચાહક વર્ગ ઉભો કરી રહી છે. અત્યારે સ્થિતિ માત્ર ટીવી પર જોઇને આનંદ લેવાની  છે.

આપને ત્યાં રમત માટે માહોલ બનતા પેહલા સુવિધા ની વાત કરી લેવી જોઈએ. 1999 માં જયારે હું અમદાવાદ માં આવ્યો ત્યારે પણ ફૂટબોલ ના 2 મેદાન અનોફિસિઅલ હતા. એક ગુજરાત કોલેજ નું મેદાન અને બીજું રેલ્વે કોલોની નું. ગુજરાત કોલેજ ના મેદાન માં હવે ફૂટબોલ રમવું શક્ય નથી, કારણ કે જે રીતે મેદાન સચવાવવું જોયીએ તેવું થયું નથી. રેલ્વે કોલોની નું મેદાન પણ ચાલી જાય તેવું છે. તેના સિવાય ફૂટબોલ માટે ગુજરાત માં જગ્યા નથી. વડોદરા નો બહુ ખ્યાલ નથી પણ સ્થિતિ કઈક આવી છે. આજે પણ નવું કશું જ થઇ શક્યું નથી.

સ્પેન ને એટલે સલામ કરવી પડે કારણ કે ત્યાં ની પ્રજા ચોક્કસ દિશામાં વિચાર કરનારી છે. આવા લોકો ને જશ હોય જ. આપને ત્યાં જે નાગરિકો ને બાળકો હોય તેમને તો રાજકીય પક્ષો ને દમ મારી ને કેહવું જોયીયે કે  મોંઘવારી ઘટાડવા કે ગરીબી ઘટાડવા માટે આઝાદી પછી તમે જે પ્રયાસો કાર્ય છે તે પૂરતા છે. હવે રમત આ મુદ્દે પૂરી થયી. હવે ખરી રમત માં કઈક કરવા માંગતા હોવ તો જ મત માગજો. સ્પેન માં આ ચળવળ એક સદી પેહલા શરુ થઈ હશે. . . .







Tuesday, 8 May 2012

મોદી-નીતિશ હેન્ડશેક અને આપણું રાજકારણ. . .

હમણાં નીતિશકુમાર અને મોદીના હેન્ડશેકનો મુદ્દો ચાલ્યો. બિહારમાં નકામા બની ગયેલા લાલુપ્રસાદ યાદવને ટીવી પર બોલવાનો મુદ્દો મળી ગયો. ટીવીમાં આ પ્રકારના પત્રકારત્વને માટે ખુબ સ્પેસ છે. હવે અખબારો ક્યારેક આવી ઘટનાઓને પગલે ટીવીના ગળામાં તેમની રાશ હોય તેમ તણાવું પડે છે. મુળ વાત એ છે કે મોદી સાથે હાથ મેળવ્યા એ સમાચારનો મુદ્દો બનવો જોઈએ કે કેમ. . મોદી એક રાજ્યના મુખ્યમંત્રી છે, અને જે જગ્યાએ એન.સી.ટી.સીની મીટીંગ હતી ત્યાં તે અનઈનવાઈટેડ પણ ન હતા. નીતિશકુમાર એક રાજ્યના મુખ્યમંત્રી છે, રાજકારણના મુદ્દે ગમે તેટલા મતભેદો હોય પણ સામસામા આવી જાય તો બોલાવવાના સંબંધો તો હોય જ એ વાત આ દેશના લોકો નથી સમજતા એવું માધ્યમો સમજે છે. ગુજરાત અને બિહારના સંદર્ભમાં જે કાંઈ ઘટનાઓ બની છે, તેનાથી તમામ લોકો વાકેફ છે, છતાં સામસામા બે દિગ્ગજો મળે તો પ્રેમથી બોલાવાના સંબંધો તો હોય જ એ વાત મને ગળે ઉતરે છે. ભારતના ભેળસેળીયા રાજકારણમાં એવું કહેવાય છે કે કોઈ કાયમી દુશ્મન નથી અને કોઈ કાયમી દોસ્ત નથી. બસ એના જ બે દાખલા છે જેની વાત અહીં કરું છું. 

1999માં ભાજપને દોઢસોથી વધુ બેઠક મળી અને કેન્દ્રમાં સત્તા માટે સૌથી મોટા પક્ષ તરીકે તેને આમંત્રણ મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું. ભાજપે સત્તા હાંસલ કરી તેમાં મુખ્ય બે મુદ્દા હતા. રામમંદિરનું નિર્માણ, કશ્મીરની 370મી કલમની નાબુદી. આ વચનોથી ભાજપ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો અને વાત આગળ વધી. સામે પક્ષે કશ્મીરની તે વખતની સત્તાધારી પાર્ટી નેશનલ કોન્ફરન્સની વિચારધારાની તદ્દન વિરુધ્ધનો એક મુદ્દો 370ની કલમનો નહતો. કશ્મીરને જે સ્વાયત્ત રાજ્ય તરીકે જે ખાસ હક્કો પ્રાપ્ત છે તે બંધારણની 370ની કલમને આધીન છે, અને આ નાબુદીની વાત ભાજપ કરતો હતો. ભાજપને સત્તા માટે સ્થાનિક પક્ષોની જરુર પડી. આંચકાજનક વાત એ હતી કે કશ્મીરની સ્થાનિક પાર્ટી આ નેશનલ કોન્ફરન્સ જ તે સત્તામાં ભાગીદાર બની અને હાલના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા એ ભાગબટાઈમાં એવીયેશન મીનીસ્ટર બન્યા. જ્યાં બે વિચારધારાઓ આમને સામને હોય ત્યાં સત્તા માટે આ ઘટના બની હતી. કારણ કે સત્તા માટે વિચારધારા કોઈ મહત્વ રાખતી નથી. છેલ્લે 2002માં ગુજરાતમાં તોફાનો થયા અને નેશનલ કોન્ફરન્સે એન.ડી.એમાંથી હાથ પગ ખેંચી લીધા. 

બીજો મુદ્દો એ છે કે વર્ષ 2004માં એન.ડી.એ ફીલ ગુડ ન કરાવી શકી અને સામાન્ય ચૂંટણીમાં ભાજપને વિપક્ષમાં બેસવું પડ્યું, અને કોંગ્રેસ સત્તા પર આવી. યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સનું નિર્માણ થયું. આ પહેલા કોંગ્રેસમાંથી છુટા પડેલા અને હાલ વડાપ્રધાન બનવાનું સ્વપ્ન જોતા શરદ પવાર એ મુદ્દે કોંગ્રેસથી છુટા પડેલા કે સોનીયા ગાંધી વિદેશી મુળના છે, અને દેશની સૌથી મોટી પાર્ટીના વડા ન બની શકે. શરદ પવારે પોતાનો અલગ પક્ષ રચ્યો. મહારાષ્ટ્રના રાજકારણમાં શક્તિશાળી મનાતા શરદ પવાર પાસે 2004માં કોઈ સત્તા ન હતી. એટલે 2004માં જ્યારે યુપીએને જરુર પડી તો શરદ પવાર મેદાને ઉતર્યા અને હાથ મેળવી દીધા. તો, કોંગ્રેસ પક્ષના વડાં તરીકે સોનીયા ગાંધી જ હતા અને સરકારનું ગઠન થયું અને યુપીએ રચાઈ તેના ચેરપરસન પણ સોનીયા ગાંધી જ રહ્યાં અને છે. તો આ હાથ મેળવવાની પ્રક્રિયાને કેમ માધ્યમોએ પણ સહજતાથી સ્વીકારી લીધી. 

આ પ્રકારની ઘટનાઓ સમાચાર તો બની જાય પણ કન્સ્ટ્રક્ટીવ બાબતો આ ઘટનાઓની પાછળ જ દબાઈ જાય છે. નીતિશકુમાર અને મોદી હાથ મેળવે તે સમાચાર એકવાર ચાલી પણ જાય, જ્યારે રાજકારણની વાત હોય ત્યારે પેલી દોસ્ત અને દુશ્મની વાળી વાત યાદ રાખવા જેવી છે. . .

Thursday, 3 May 2012

ગુજરાતમાં હુડદંગ. .

ગુજરાતમાં રાજકીય ઘટનાઓનો પાર નથી અને ઘટના માત્ર નથી એવી સ્થિતિ છે. પહેલી મેની ઉજવણી દાહોદમાં થઈ અને છેક ગુંજારવ લોકસભામાં થયો. શરમજનક ઘટનાઓની હારમાળા . . સ્થાનિક માધ્યમો પણ બીજા દિવસે જાગ્યા. પોલીસને ખબર ન હતી કે જેમને ટીંગાટોળી કરીને લઈ જવાઈ રહ્યાં છે તે સાંસદ છે, કે પછી ખબર હતી એટલે જ આવો વ્યવહાર થયો. ઘટના પછી જે રાજકારણ શરું થયું એણે પણ પહેલી મેની ગરીમાને લાંછન લગાડ્યું.